આમોદ: કોલવણાની સીમમાં હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત નીપજ્યુ : બે ઇજાગ્રસ્ત બન્યા
કોલવણા ગામના યુવાનો એ ઇજાગ્રસ્તોને કાદવ કીચડમાંથી બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું..
આમોદ ના કોલવણા ગામ ની સીમમાં હાઈ ટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યુ હતુ. એક ટાવર ના ઉપર ચાર-પાંચ કર્મીઓ કામ કરી રહ્યા હતા.એ દરમિયાન ટાવર એંગલ માંથી તૂટતા દબાઈ જવાને કારણે એક કર્મી નું મોત નિપજવા પામ્યુ હતુ.જ્યારે બે કર્મીઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.કોલવણા ગામના યુવાનોએ ઇજાગ્રસ્તો ને કાદવ- કીચડમાંથી મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતુ.
આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપની ની ૨૨૦ કે.વી ગવાસદ – સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે.ટાવર ઉપર થી કંડકટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા ત્રણ ચાર દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યુ હતુ.આ સમયે ૮૬ નંબર ના ટાવર ઉપર ચાર – પાંચ કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા.ત્યાંજ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશભાઈ અભેસંગ ગોહિલ ઉ.વ. ૫૪ રહે, જુના તવરા,જી.ભરૂચ નાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી.ગંભીર ઇજાઓ થતા ટાવર ઉપરજ તેમણે બુમાબુમ કરી નાંખી હતી.તેમને રેસ્ક્યુ કરી નીચે ઉતારવમાં આવ્યા હતા.ઘટના સ્થળે પહોંચેલા કોલવણા ના યુવાનો પૈકી એક યુવાને મહેશભાઈ ને સી.પી.આર આપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.જોકે મુખ્ય માર્ગ થી અડધો કી.મી. અંદર કાદવ કિચડમાંથી કોલવણા ના યુવાનો એ મહેશભાઈ સહિત ના અન્ય ઇજાગ્રસ્ત કર્મીઓને મહામુસીબતે બહાર કાઢી માનવતા નું કાર્ય કર્યું હતુ.ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ રહે,નવા તવરા,તા.જી. ભરૂચ અને દીપકભાઈ વસાવા રહે ઉપરાલી,તા.જી. ભરૂચ નાઓ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મહેશભાઈને આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા તેમને ફરજ પર ના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.