અંકલેશ્વરમાં ખેડૂતોને પોલીસે જિલ્લા કચેરીએ આંદોલન કરવા જતાં અટકાવ્યા; ખેડૂતોમાં આક્રોશ ફેલાયો; જિલ્લા કચેરીને પોલીસ છાવણીમાં લેવાઈ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ અને આમોદ તાલુકાના એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરીએ વળતરની માગ માટે ઘરણા પ્રદર્શન કરવા પહોંચ્યા. જ્યાં તેમને અટકાવવા અટકાયત અને નજરકેદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાઈ ગયો છે.
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સમાંતર વળતરની રકમને લઈ આંદોલન ચલાવી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે પણ બેઠક કરી હોવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ નહિ આવ્યો. ખેડૂતો હવે આંદોલનના મુડમાં આવ્યા છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે. તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. અગાઉ બે વખતે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરીને વળતરની માંગણી કરી હતી. તેમ છતાંય તેનો પણ કોઈ યોગ્ય ઉકેલ નહિ આવતા ખેડૂતોએ દર સોમવારે કલેક્ટર કચેરીએ વિરોધ માટે આવવાનું નક્કી કર્યું હતું.
જોકે ગઈકાલે ખેડૂતો કચેરી નહીં આવી શકતા આજે તેમણે જિલ્લા કચેરીના પટાંગણમાં પ્રતીક ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી હતી. જોકે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી ખેડૂતોને આપી ન હતી. પરંતુ આ ખેડૂતો આજે વહેલી સવારે કલેક્ટર કચેરીએ પહોંચવાની તૈયારી કરતા હતા. ત્યારે પોલીસે અંકલેશ્વર, હાંસોટ અને આમોદ તાલુકાના ખેડૂત નેતાઓને તેમના ઘરોમાં નજર કેદ કર્યા હતા. જ્યારે બીજા ખેડૂતોને ભરૂચ પહોંચતા અટકાવવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. આ બાબતે ખેડૂત નેતાઓએ ખેડૂતોના આંદોલનને દબાવી દેવાનો પ્રયાસ સરકાર દ્વારા કરાઈ રહ્યો હોવાનો ગણાવ્યો હતો. બીજી બાજુ ભરૂચ કલેક્ટર કચેરીએ પણ કોઈ ખેડૂતો પહોંચી નહિ શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.