શ્રી લાલ બહાદુર શાસ્ત્રી : જન્મજયંતિ :
ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર રેલવે ટાઉન મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા. એ નાના એવા શહેરમાં લાલ બહાદુરની સ્કૂલની શિક્ષા કંઇ ખાસ રહી નહોતી પરંતુ ગરીબીનો માર પડવા છતાં તેમનું બાળપણ પર્યાપ્તરૂપે આનંદમય રહ્યું હતું.
તેમને વારણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા જેથી ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ઘરમાં તેમને સહું નન્હેના નામથી બોલાવતા હતા. તેઓ ઘણા માઇલનું અંતર ઉઘાડા પગે જ ચાલીને શાળાએ જતા હતા, એ ત્યાં સુધી કે ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાઓ ખૂબ જ ગરમ હતા ત્યારે પણ તેમને આવી રીતે જ જવું પડતું હતું.
મોટા થવાની સાથે જ લાલ બહાદુર શાસ્ત્રી વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવવા લાગ્યા. તેઓ ભારતમાં બ્રિટિશ શાસનનું સમર્થન કરી રહેલા ભારતીય રાજાઓની મહાત્મા ગાંધી દ્વારા કરાયેલી નિંદાથી અત્યંત પ્રભાવિત થયા હતા. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારથી જ તેમણે રાષ્ટ્રીય સ્તરે કંઇક કરવાનું મનમાં વિચારી લીધું હતું.
ગાંધીજીએ અસહયોગ આંદોલનમાં સામેલ થવા માટે પોતાના દેશવાસીઓને આહવાન કર્યું હતું, આ સમયે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર 16 વર્ષના હતા. તેમણે મહાત્મા ગાંધીના આ આહવાન પર પોતાનું ભણતર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના આ નિર્ણયે તેમની માતાની આશાઓ તોડી નાંખી. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ખોટો ગણાવીને તેમને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પંરતુ તેઓ નિષ્ફળ રહ્યાં. લાલ બહાદુરે પોતાનું મન મનાવી લીધું હતું.
તેમના બધા નજીકના લોકોને એ ખબર હતી કે એક વખત મન મનાવી લીધા બાદ તેઓ પોતાનો નિર્ણય ક્યારેય નહીં બદલે કેમ કે બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા. મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લેવાને કારણે તેઓ કુલ સાત વર્ષો સુધી બ્રિટિશ જેલમાં રહ્યા હતા.
1927માં તેમના લગ્ન થયાં હતા. તેમની પત્ની લલિતા દેવી મીરઝાપુરના હતા. જે તેમના શહેરની પાસે જ હતું. તેમના લગ્ન બધી રીતે પારંપરિક હતા. દહેજના નામે એક ચરખો તેમજ હાથથી વણેલું અમુક મીટર કાપડ હતું. તેઓ દહેજના રૂપમાં એનાથી વધારે બીજું કંઇ પણ ઇચ્છતા નહોતા.
આઝાદી બાદ તેઓ વર્ષ 1951માં નવી દિલ્હી આવી ગયા તેમજ કેન્દ્રીય મંત્રિમંડળના કેટલાય વિભાગોના પ્રભાર સંભાળ્યા. તેઓ રેલ મંત્રી, પરિવહન તેમજ સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી, ગૃહ મંત્રી તેમજ નહેરૂજીની બીમારી દરમિયાન વિભાગ વગરના મંત્રી રહ્યા.
‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો
1964માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા.. તેમના શાસકનકાળ દરમિયાન વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. તે સમયે દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને ખાદ્ય ચીજોની નિકાસ શરૂ થઇ. સંકટને ટાળવા માટે તેમણે દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ રાખવાની અપીલ કરી હતી. આ સાથે જ કૃષિ ઉત્પાદનમાં આત્મનનિર્ભરતા માટે ‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો.
એક ગરીબ પરિવારમાંથી આવેલા શાસ્ત્રીજીએ વિશ્વને એવો સંદેશ આપ્યો હતો કે વ્યક્તિમાં જો આત્મવિશ્વાસ હોય તો તે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે નહેરુનું અવસાન થયું ત્યારે બધાને એમ થતું હતું કે હવે વડાપ્રધાન કોણ બનશે. ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં પરંતુ ત્યારબાદ બે અઠવાડિયામાં શાસ્ત્રીજીને આઝાદ ભારતના બીજા વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં.
1965માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું ત્યારે દેશમાં સ્થિતિ વણસેલી હતી. ભૂખમરો હતો, અનાજની અછત હતી ત્યારે આ સંકટમાં શાસ્ત્રીજીએ પોતાનો પગાર પણ લેવાનું છોડ્યું હતું. ઘરના નોકરોને પણ કામ પર ન આવવાનું કહીને બધુ કામ જાતે કરવા લાગ્યા હતાં.
પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા હતા. 1952,1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું.
30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા. વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. તેઓ દૂરદર્શી હતા કે જેથી દેશને પ્રગતિના માર્ગે લઇ આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. પોતાના ગુરુ મહાત્મા ગાંધીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે ‘‘ મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’’ મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવનારા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે.